જાહેર પરીક્ષાઓને સુરક્ષિત, પારદર્શક, વૈજ્ઞાનિક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટે વ્યાપક સુધારા જરૂરી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય કાર્યબળ સમક્ષ પોતાના ૧૫ મુદ્દાના સૂચનો રજૂ કર્યા
ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે દેશની જાહેર પરીક્ષા વ્યવસ્થામાં વ્યાપક અને દીર્ઘકાલીન સુધારાની આવશ્યકતા પર ભાર મૂકતાં, જાહેર પરીક્ષાઓમાં સુધારા માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય કાર્યબળ સમક્ષ પોતાના ૧૫ મુદ્દાના સૂચનો રજૂ કર્યા છે. મહાસંઘે જણાવ્યું છે કે પરીક્ષા વ્યવસ્થામાં સુધારો માત્ર પ્રશ્નપત્રની સુરક્ષા પૂરતો સીમિત ન હોવો જોઈએ, પરંતુ એવી સમગ્ર વ્યવસ્થા વિકસાવવી જોઈએ જે સુરક્ષિત, પારદર્શક, વૈજ્ઞાનિક, વિશ્વસનીય, સર્વસમાવેશક અને વિદ્યાર્થીકેન્દ્રિત હોય તથા બદલાતી આવશ્યકતાઓને અનુરૂપ ભવિષ્ય માટે સક્ષમ બને.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. નારાયણ લાલ ગુપ્તાએ જણાવ્યું કે જાહેર પરીક્ષાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશની શૈક્ષણિક વ્યવસ્થા સાથે સીધી રીતે જોડાયેલી છે. તેથી તેમાં વિશ્વાસ અને નિષ્પક્ષતા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે જણાવ્યું કે પરીક્ષા સુધારાનો હેતુ એવી વ્યવસ્થા ઊભી કરવાનો હોવો જોઈએ જેમાં વિદ્યાર્થીના વાસ્તવિક જ્ઞાન, ક્ષમતા અને કૌશલ્યનું નિષ્પક્ષ મૂલ્યાંકન થાય અને કોઈપણ તકનિકી, વહીવટી અથવા પ્રક્રિયાગત ખામીનો ભોગ વિદ્યાર્થીને ન બનવું પડે.પ્રો. ગુપ્તાએ જણાવ્યું કે અતિશય સ્પર્ધા અને માત્ર એક જ હાઈ-સ્ટેક્સ પરીક્ષા પરની નિર્ભરતા ઘટાડવા માટે ‘એક વિદ્યાર્થી અનેક પ્રમાણિત મૂલ્યાંકન એક રાષ્ટ્રીય મેરિટ ફ્રેમવર્ક’ની દિશામાં આગળ વધવું જરૂરી છે. શાળાકીય શિક્ષણ, બોર્ડ પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ વચ્ચે વધુ સારો સમન્વય, કૌશલ્ય આધારિત મૂલ્યાંકન તથા જરૂરિયાત મુજબ બહુચરણિય અને બહુઅવસર આધારિત પરીક્ષા વ્યવસ્થા વિકસાવવી જોઈએ. સાથે જ તબીબી શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક તકોનો વિસ્તાર કરવો પણ પરીક્ષા સંબંધિત અતિશય દબાણ ઘટાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
રાષ્ટ્રીય મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટે જણાવ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં કાયમી વિશ્વાસ ત્યારે જ સ્થાપિત થઈ શકે જ્યારે તેની દરેક કડીમાં પારદર્શિતા, સુરક્ષા અને જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે. મહાસંઘે રાષ્ટ્રીય પ્રશ્નબેંક, વિવિધ અને સ્વતંત્ર નિષ્ણાત તંત્ર, વૈજ્ઞાનિક મોડરેશન, બહુસ્તરીય પ્રશ્નપત્ર સુરક્ષા, એન્ક્રિપ્ટેડ પ્રશ્નપત્ર, ડિજિટલ ઑડિટ ટ્રેલ તેમજ સ્વતંત્ર પરીક્ષા-સુરક્ષા અને ગુપ્તચર તંત્ર વિકસાવવાનું સૂચન કર્યું છે. એનટીએ તથા અન્ય મુખ્ય પરીક્ષા સંસ્થાઓને વ્યાવસાયિક, શૈક્ષણિક નેતૃત્વ ધરાવતી અને કાર્યાત્મક રીતે સ્વતંત્ર સંસ્થાઓ તરીકે મજબૂત બનાવવાની આવશ્યકતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.પ્રો. ભટ્ટે જણાવ્યું કે પરીક્ષા સુધારાઓના કેન્દ્રમાં વિદ્યાર્થી હોવો જોઈએ. આ માટે સરકારી માલિકીના પરીક્ષા કેન્દ્રોનું રાષ્ટ્રીય નેટવર્ક, પ્રાદેશિક પરીક્ષા હબ, ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષણની સુવિધાઓ, દિવ્યાંગ ઉમેદવારો માટે સુલભ વ્યવસ્થા, ભારતીય ભાષાઓમાં ગુણવત્તાયુક્ત પરીક્ષા સામગ્રી, એકીકૃત રાષ્ટ્રીય પરીક્ષા કેલેન્ડર, સમયબદ્ધ પરિણામો તથા સ્વતંત્ર પરીક્ષા લોકપાલ અને ફરિયાદ નિવારણ તંત્ર જરૂરી છે. વધુમાં જણાવ્યું કે મોંઘી કોચિંગ પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારી મૉક ટેસ્ટ, પ્રશ્નબેંક, કમ્પ્યુટર આધારિત પરીક્ષણની પ્રેક્ટિસ સુવિધાઓ અને નિઃશુલ્ક ડિજિટલ શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવા જોઈએ. તેમજ પરીક્ષા તંત્ર સાથે સંકળાયેલા હિતોના સંઘર્ષને અસરકારક રીતે નિયંત્રિત કરવો જોઈએ.મહાસંઘે હાઈ પાવર ટાસ્ક ફોર્સને આગ્રહ કર્યો છે કે આ સૂચનો પર વ્યાપક વિચારણા કરીને પરીક્ષા વ્યવસ્થામાં માળખાકીય, સંસ્થાકીય અને તકનિકી સુધારાઓ તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવે. તમામ મહત્વપૂર્ણ સુધારાઓ માટે પાયલોટ પરીક્ષણ, સ્વતંત્ર મૂલ્યાંકન અને ત્યારબાદ વિસ્તરણની પ્રક્રિયા અપનાવવામાં આવે, જેથી ભારતની જાહેર પરીક્ષા વ્યવસ્થા વિશ્વસનીયતા, સુરક્ષા, પારદર્શિતા, સમાન તક અને વિદ્યાર્થીના સન્માન પર આધારિત એક મજબૂત રાષ્ટ્રીય મોડેલ તરીકે વિકસિત થઈ શકે.

Comments