Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં એચઆઈવી - એઈડ્‌સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

31 August



ભુજ - કચ્છઉદ્યય : જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીબી-એચઆઈવી ઓફિસરના દિશાનિર્દેશ હેઠળ કચ્છ જિલ્લામાં સઘન આઈઈસી અભિયાન-૩.૦ અંતર્ગત એચઆઈવી - એઈડ્‌સ અંગે જનજાગૃતિ કેળવવા વિવિધ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો અને રેલીઓ યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત પીએચસી કુકમા હેઠળના સબ સેન્ટર કોટડા (ઉ) તથા આમ-લાખોંદ વિસ્તારમાં જાગૃતિ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ગ્રામજનોને સંક્રમણના માર્ગો, બચાવના ઉપાયો, વહેલી તપાસ અને સમયસર સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી.
મિરઝાપર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પધ્ધર સબ સેન્ટર નજીક આવેલી હાઈસ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને સંક્રમણથી બચવાના ઉપાયો, સમયસર તપાસ અને સારવારના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ એચઆઈવી સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અને સન્માનપૂર્ણ વર્તન કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું. પધ્ધર વિસ્તારમાં યોજાયેલી જાગૃતિ રેલીમાં એમપીએચડબલ્યુ તથા આશા બહેનોએ સક્રિય ભાગ લીધો હતો. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકો અને વિદ્યાર્થીઓ સુધી સાચી તથા વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ એચઆઈવી - એઈડ્‌સ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી જનસમુદાયમાંં જાગૃતિ વધારવા તેમજ એચઆઈવી સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવમુક્ત અને સંવેદનશીલ અભિગમ કેળવવાનો રહ્યો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM