ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીતસિંહ બિટ્ટાએ ભુજ સ્થિત ‘સ્મૃતિવન’ ની મુલાકાત લીધી
૨૦૦૧ના ભૂકંપના દિવંગતોને અર્પી ભાવાંજલિ
ભુજ-કચ્છઉદય : સ્મૃતિવન મ્યુઝિયમના ડાયરેક્ટર મનોજકુમાર પાંડે દ્વારા શ્રી બિટ્ટાજીનું સ્વાગત કરાયું હતું. કચ્છની ખમીરવંતી પ્રજાની અદમ્ય સંકલ્પશક્તિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિને મુક્તકંઠે બિરદાવી હતી. રાષ્ટ્રભક્તિના પ્રખર હિમાયતી અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટ (એઆઈએટીએફ) ના ચેરમેન મનિન્દરજીત સિંહ બિટ્ટા (એમ.એસ. બિટ્ટા)જીએ ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આકાર પામેલા એશિયાના સૌથી મોટા ભૂકંપ સ્મારક ’સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ’ની વિશેષ અને ગરિમામય મુલાકાત લીધી હતી.
(ગેલેરીઓ)સ્મૃતિવન ખાતે આગમન વેળાએ સ્મૃતિવન મ્યુઝિયમના ડાયરેક્ટર મનોજકુમાર પાંડેજી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાતના પ્રારંભે જ શ્રી બિટ્ટાજીએ વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપમાં અકાળે કાળધર્મ પામેલા હજારો દિવંગત આત્માઓની સ્મૃતિમાં ઉભા કરાયેલા મેમોરિયલ પર અત્યંત ભાવવિભોર હૃદયે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન તેમણે સ્મૃતિવન મ્યુઝિયમમાં કંડારાયેલી કચ્છની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિરાસત, આપત્તિ સામે માનવજાતનો સંઘર્ષ દર્શાવતી વિવિધ અત્યાધુનિક દીર્ઘાઓ (ગેલેરીઓ) નું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. પોતાના હૃદયસ્પર્શી પ્રતિભાવો વ્યક્ત કરતાં મનિન્દરજીતસિંહ બિટ્ટાએ જણાવ્યું હતું કે, "દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અતૂટ દીર્ઘદૃષ્ટિ અને માર્ગદર્શન હેઠળ સાકાર થયેલું આ ’સ્મૃતિવન’ માત્ર એક ઈમારત કે સ્મારક નથી, પરંતુ તે કચ્છી માડુઓની અદમ્ય ચેતના અને વિનાશની રાખમાંથી ફિનિક્સ પક્ષીની જેમ ફરી બેઠા થવાની લોકખુમારીનું જીવંત તીર્થસ્થાન છે." આ ગૌરવપૂર્ણ મુલાકાત વેળાએ સી.આઈ.એસ.એફ. (સીઆઈએસએફ)ના જવાનો અને સ્મૃતિવન મેનેજમેન્ટના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
-------

Comments