Trending News
સ્થાનિક સમાચાર

માંડવી સ્વચ્છ સમુદ્ર અભિયાન અંતર્ગત બીચ પરથી ૧૯૦.૪૭ કિલોગ્રામ દરિયાઈ કચરો એકત્ર કરાયો 

19 September


ભુજ - કચ્છઉદય : માંડવી બીચ પર "આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાના સ્વચ્છ દિવસ ના ભાગ રૂપે દરિયાકાંઠાના સ્વચ્છ સમુદ્ર અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯થી શરૂ કરાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ દરિયાકાંઠાના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણના વધુ સારા રક્ષક બનવાનો છે. ભુજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ, ચેન્નાઈ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. વી. વિજય કુમારના નિર્દેશનમાં, કાર્યક્રમનું અધ્યક્ષપદ અનોપસિંહ ડોડિયા, શેઠ ગોકુલ દાસ હંસરાજ વિવિધલક્ષી કોલેજ, માંડવીના આચાર્ય ધવલ પટેલ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી વતી એલ. પ્રભાદેવી (સલાહકાર) દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન માંડવી બીચ પરથી કુલ ૧૯૦.૪૭ કિલોગ્રામ દરિયાઈ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં ૧૩૫.૪૭ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો હતો. પ્લાસ્ટિક કચરાની સંખ્યાના આધારે પાણી પીવાના પ્લાસ્ટિક સ્ટ્રોનો ફાળો ૩૩.૯ ટકા અને પ્લાસ્ટિક ચમચીનો ફાળો ૨૭.૧ ટકા નોંધાયો હતો. જ્યારે વજનના આધારે પૂજાની સામગ્રી (માળા)નો હિસ્સો ૫૯.૧ ટકા રહ્યો હતો.
અભિયાનમાં સારસ્વતમ સંચાલિત આર.એચ.પી. ઉચ્ચતર માધ્યમિક શાળા (મસકા), શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, શેઠ ગોકુલદાસ હંસરાજ વિવિધલક્ષી વિદ્યાલય અને કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત માંડવી નગરપાલિકા, વન વિભાગ, પ્રવાસન વિભાગ,  બીએસએફ, સિક્યોર નેચર તથા સીમા જાગરણ મંચના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપણા દરિયાકાંઠાના પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિક અને અન્ય કચરાથી મુક્ત રાખવા માટે જન જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમનું સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા( વૈજ્ઞાનિક, કોસ્ટલ અને મરીન ઇકોલોજી વિભાગ, ગાઇડ) દ્વારા કરવામાં આવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM