ગણેશોત્સવની ઉજવણીમાં પીઓપી મૂર્તિઓના તળાવો, નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ
ભુજ - કચ્છઉદય : તા.૧૪/૯ થી તા.૨૫/૯ સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ મંડળીઓ દ્વારા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે તા.૧૪/૯થી ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે તથા તા.૨૫/૯ સુધીમાં આ પ્રતિમાઓનું વિસર્જન થનાર છે. આ મહોત્સવ દરમિયાન કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા જાહેરનામું જારી કરાયુંં છે. જે અંતર્ગત જિલ્લામાં પરંપરાગત કુદરતી પ્રાકૃતિક માટી તેમજ બાયોડિગ્રેબલ, ઇકો ફ્રેન્ડલી અને ટોક્ષિક ન હોય તેવા કાચા માલમાંથી મૂર્તિઓ બનાવવાની રહેશે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલ મૂર્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મૂર્તિની ઉંચાઇ બાબતે સંબંધિત સ્થાનિક સ્વરાજની સંસ્થાના સક્ષમ સતાધિકારીએ નદીઓ - તળાવો જળાશયો (વોટરબોડી) ઘ્યાને લઈ ધારાધોરણ નક્કી કરવાના રહેશે. જળાશયોમાં પ્રદૂષણ અટકાવવા માટે મૂર્તિઓ કે તેના આભુષણો બનાવવા માટે માત્ર સૂકા ફૂલોનો, ઘાસ વગેરે અને વૃક્ષોના કુદરતી રેઝિનનો ઉપયોગ મૂર્તિઓને આકર્ષક બનાવવા માટે કરવાનો રહેશે તેમજ મૂર્તિઓ, પંડાલ કે શણગારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક અને થર્મોકોલ મટીરીયલ્સનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. મૂર્તિઓને રંગવા માટે ઈકોફ્રેન્ડલી, બાયો ડિગ્રેડેબલ, નોન-ટોક્ષિક અને પાણી આધારીત કુદરતી ડાઇ રંગોનો ઉપયોગ કરવાનો રહેશે. છોડમાંથી માત્ર કુદરતી રીતે બનતા રંગો અથવા રંગીન ખડકોનો ઉપયોગ રંગ માટે કરવાનો રહેશે. મૂર્તિઓના વિસર્જન પહેલા મૂર્તિઓના તમામ ફૂલો, પાંદડાઓ અને કૃત્રિમ આભૂષણો દૂર કરવાના રહેશે અને માત્ર આવી મૂર્તિઓને પુરતી સલામતી સાથે નિયુક્ત જગ્યાએ વિસર્જિત કરવાની રહેશે, વિસર્જન સમયે મૂર્તિઓ નદીઓ,તળાવનાં કિનારે રાખવી નહીં. નદી કે તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં. વિસર્જન સરઘસ માટેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં. આ જાહેરનામું તા.૧૪/૯ થી તા.૨૫/૯ સુધી અમલમાં રહેશે.
-----------

Comments