કચ્છમાં સૂર્યનારાયણની સંતાકુકડી વચ્ચે માંડવી પંથકમાં વરસાદી ઝાપટા
કચ્છમાં સતત ચોથા દિવસે મેઘરાજાએ પુરાવી હાજરી : ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત કચ્છવાસીઓ મેઘો મન મુકી વરસે તેવી કરી રહ્યા છે પ્રાર્થના
ભુજ : કચ્છ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ભારે ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આજે સતત ચોથા દિવસે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ગઈકાલે નખત્રાણા પંથકમાં મેઘ મહેર બાદ આજેે સવારે માંડવી વિસ્તારમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ આજે ઈદ ઉલ અજહાના તહેવાર દરમ્યાન માંડવી પંથકમાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી. માંડવી પંથકના જામથડા, દરશડી, મમાયમોરા, પીયાવા વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા પાણી વહી નિકળ્યા હતા. જયારે બપોરે ૧૧ વાગ્યાના અરસામાં રત્નાપર, મઉં, મકડા, ગઢશીશા વિસ્તારમાં વરસાદ થયો હતો. વરસાદી ઝાપટાથી ગામો અને ખેતરોમાં પાણી વહી નિકળ્યા હતા. કચ્છમાં છેલ્લા ચાર દિવસથી વિસ્તારોમાં છાંટા અને ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી છે, પરંતુ મેઘરાજા મન મુકીને વરસ્યા ન હોવાથી ઉકળાટ યથાવત રહ્યો છે. વાગડ પંથકથી શરૂ થયેલ વરસાદી ઝાપટાઓનો દૌર આજે માંડવી અને ગઢશીશા વિસ્તારમાં આગળ વધ્યો હતો. જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સવારે છુટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. વહેલી સવારે માધાપર - ભુજોડી વિસ્તારમાં વરસાદનું ઝાપટુ વરસતાં પાણી વહી નિકળ્યા હતા.
...........
માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
માંડવી : શહેર અને આજુબાજુના ગામડાઓમાં આજે વહેલી સવારે ૬ વાગ્યાના અરસામાં ઝાપટારૂપે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા. માંડવીમાં સીઝનના પ્રથમ વરસાદી ઝાપટાથી ૭ મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ ભીડ બજાર, લાકડા બજારમાં જોશભેર પાણી વહિ નિકળ્યા હતા. બિદડાથી ભાવેશ સંઘારના જણાવ્યા મુજબ વહેલી સવારે અમી છાંટાણારૂપે વરસાદ વરસ્યો હતો. કોડાયથી વિજય ગાલા, દુર્ગાપુરથી પ્રવીણભાઈ વેલાણીએ જણાવ્યું હતું કે, ગામમાં વરસાદી ઝાપટાથી પાણી વહી નિકળ્યા હતા. મોટા લાયજા, ભાડા, પાંચોટિયા, ભીંસરા, નાના લાયજા સહિતના ગામોમાં વહેલી સવારે ઝાપટારૂપે અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો. નજીવા વરસાદી ઝાપટાથી શહેરમાં ભારે ઉકટાળનું વાતાવરણ બનતા ગરમીથી શહેરીજનો ત્રસ્ત બન્યા હતા. જયારે તાલુકના કેટલાક ગામડાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારે વરસાદ પડવાથી બકરી ઈદની નમાજ જે ઈદગાહ ખાતે સમૂહ નમાજ પઢવાની હતી તે રદ થઈ હતી. અને મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના વિસ્તારની મસ્જિદોમાં નમાજ અદા કરી હતી.
..........
કચ્છમાં વધુ બે દિવસ વરસાદની આગાહી
ભુજ : હવામાન વિભાગ દ્વારા વધુ બે દિવસ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લામાં વધુ બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા દર્શાવવામાં આવી છે. સાથે પવનની ઝડપમાં પણ વધારો થશે. જિલ્લામાં પવનની ગતિ વધીને ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિકલાક રહેવાનું અનુમાન છે.
.........
ગઢશીશા વિસ્તારમાં ભીમ અગિયારસના શુકનવંતા અમીછાંટણા
ગરમીના ઉકળાટ વચ્ચે છેલ્લા બે દિવસથી અમીછાંટણા સાથે હળવા વરસાદી ઝાપટાથી અનુભવાઈ ઠંડક
ગઢશીશા : કચ્છમાં બે દિવસ પૂર્વે રાપર વિસ્તારમાં મેઘરાજાએ આગમનથી ગરમીમાંથી ટાઢકનો અહેસાસ થયો હતો. તો પશ્ચિમ કચછમાં નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ), મંગવાણા, જીયાપર સહિતના ગામોમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ખેતરોમાં પાણીની આવક થઈ હતી. આજે વહેલી સવારે ૮ વાગ્યાના ગાળામાં ગઢશીશા વિસ્તારના ગામોમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ભીમ અગિયારસના શુકનવંતા અમીછાંટણા કરતાં રસ્તાઓ ભીના બન્યા હતા. લગભગ બાગાયતી ખેતીમાં કેસરની મોસમ પૂર્ણતાના આરે છે તો કચ્છી મેવો એવી મીઠડી ખારેકનું આગમન થઈ ગયું છે, ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તેવું રામમોલ પાકની ખેેતી કરતા ખેડૂતો આશ રાખી રહ્યા છે.
........
નખત્રાણામાં ઠેર ઠેર જળભરાવ
નખત્રાણાના ટેમ્પા સ્ટેશન, બસ સ્ટેશન, મુખ્ય બજાર તથા વથાણમાં એક ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું હતું. વથાણમાં બનેલ રોડ પાણીના નિકાલથી ઊંચો હોવાથી ઠેર ઠેર પાણી ભરાય છે. મણિનગર વિસ્તારમાં પણ રોડ ઊંચો બન્યો હોવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. નવાનગરના વોકડાના નાળાની પણ સફાઈ ન થતાં રહેણાક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.
..........
હરિયાળા પંથકમાં મેઘો મહેરબાન
નખત્રાણામાં ર ઈંચ વરસાદ વરસ્યો
પાવરપટ્ટીના બિબ્બર, સાંયરા, મોરગર, મંગવાણામાં બે ઈંચ, નખત્રાણા, કોટડા, સાંગનારામાં દોઢ ઈંચ : ડેમોમાં નવા નીર આવ્યા : વરસાદથી કેસરકેરી ખારેકના પાાકને નુકશાન : નખત્રાણાની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ થઈ પાધરી
નખત્રાણા : ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દિધા બાદ અને અસહય ઉકળાટ બાદ નખત્રાણા પંથકમાં રવિવારની રંગતમા ભંગ પડતાં મેઘરાજાએ તાલુકામાં એથી ર ઈંચ વરસાદ વરસ્યો હતો.
નિરોણા ડેમમાં નવા નીરનું આગમન થયું હતું તો બિબ્બરથી માધુભા એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, એકથી બે ઈંચ વરસાદ પડ્યો છે અને નદી નાળામાં નવા નીર આવ્યા છે. વરસાદથી કોઈ નુકશાની નથી. દેવપર (યક્ષ)થી સતુભા જાડેજા તથા મંગવાણાથી સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી અને સાંયરાથી ધીરજલાલ પટેલ, યક્ષથી લાખાભાઈ સંઘારે કચ્છ ઉદયને વરસાદના વાવડ આપતા કહ્યું કે, સવારથી જ આ વિસ્તારમાં મેઘરાજાએ માહોલ બાંધ્યો હતો. અને સાંજે વરસાદ વરસી પડ્યો હતો. નદી નાળામાં પાણીની આવક થઈ હતી ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. ભીમ એકાદશીના શુભમુહૂર્ત પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તાલુકામાં આ વરસાદથી બાગાયતી પાકો જેવા કે, કેસર કેરી, ખારેકને નુકશાન થશે તેવી ભીતિ ખેડૂતો અને વેપારીઓએ વ્યક્ત કરી હતી.
કોટડા, રવાપર, નેત્રા વિસ્તારમાં એકાદ ઈંચ વરસાદ થયો હતો, જયારે સાંગનારાથી સરપંચ શંકરભાઈ પટેલે કહ્યું કે, દોઢથી બે ઈંચ વરસાદથી સાંગનારા નદી છેલા વહી નિકળ્યા હતા. નખત્રાણામાં એકાદ ઈંચથી ગરમીમાં રાહત મળી હતી. રાજ માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. એકાદ ઈંચથી નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ છતી થઈ હતી અને ભ્રષ્ટાચાર પાધરો થયો હતો. નરામાં પણ દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો. લખપતમાં અમુક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ હતો. આજે સોમવારે આખો દિવસ આકાશમાં વાદળાના જમાવડા વચ્ચે સૂર્યનારાયણે સંતાકુકડી રમી હતી. દિવસ કોરો રહ્યો હતો. બીજીતરફ મામલતદાર કચેરીના કિરણ જેપારે જણાવ્યું હતું કે, ૩૦થી ૩પ એમએમ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોએ ખેતર - વાડીની વાટ પકડી હતી. નખત્રાણા આજે સાંજ વરસતા વરસાદ વચ્ચે પાટીદાર સમાજ દ્વારા મા ઉમિયાની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી.
..........
Comments