પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની લૂંટને અપાયો હતો અંજામ : મહિલા સહિત ૭ દબોચાયા
શાબાશ છે, ટીમ પૂર્વ કચ્છ એસપીશ્રી-અંજાર ડીવાયએસપીશ્રીને..!
પટ્ટાવાળાએ આપેલી ‘ટીપ’ના આધારે અંજારની ૪૦ લાખની
લૂંટને અપાયો હતો અંજામ : મહિલા સહિત ૭ દબોચાયા
મહાવીર ડેવલોપર્સમાં દોઢ મહિનાથી કામ કરતા કિશોર વયના પટ્ટાવાળાને હિસાબો જોઈ લાલચ આવી જતા લૂંટનું રચાયું હતું ષડયંત્ર : ટીપ આપનાર, રેકી કરનાર, લૂંટ કરનાર કુલ્લ નવ આરોપીઓ પૈકી ત્રણ સગીર, એક મહિલા અને ત્રણ યુવકની પોલીસે કરી ધરપકડ : કંડલા અને ભચાઉના હિંમતપુરાના બે શખ્સો ફરાર
અંજાર : શહેરમાં મહાવીર ડેવલોપર્સ પેઢીમાં થયેલી ૪૦ લાખની લૂંટ કેસમાં શરૂઆતથી જેની આશંકા હતી તેે સાચી ઠરી છે. ડેવલોપર્સ પેઢીમાં કામ કરતા પટ્ટાવાળાએ આપેલી ટીપના આધારે સમગ્ર લૂંટને અંજામ અપાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં કામ કરીને પટ્ટાવાળા સમેત કુલ્લ સાત શખ્સોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા અને ત્રણ કિશોરનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરાયો છે.
ગુરૂવારે રાતે અંજારની મિસ્ત્રી કોલોનીમાં શાળા નં. ૩ ની નજીક આવેલ મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી થેલામાં રોકડા ૪૦ લાખ ભરી આ બેગ ગાડીમાં મુકવા જતા હતા ત્યારે બાઈક પર આવેલા ચાર શખ્સોએ ઝપાઝપી કરી ર૪ સેકન્ડમાં લૂંટને અંજામ આપી ભાગી ગયા હતા. અંજારના ધમધમતા વિસ્તારમાં છરીની અણીએ ૪૦ લાખની લૂંટ થતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે.
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે આજે એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, આ ગંભીર ગુનામાં એલસીબી પીઆઈ એન. એન. ચુડાસમા અને અંજાર પીઆઈ એસ. ડી. સીસોદીયાની આગેવાનીમાં ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે જાહેર રસ્તા પર આવેલા તમામ કેમેરાના ફુટેજનું એનાલીસીસ કરી મહાવીર ડેવલોપર્સના સ્ટાફની વારા ફરતી પુછપરછ કરતા અહીં કામ કરતો કિશોર વયનો પટ્ટાવાળો શંકાસ્પદ જણાતા ઝીણવટભરી પુછપરછ કરાતા તેણે વટાણા વેરી નાખ્યા હતા. તેની સાથે છ થી સાત શખ્સોએ ભેગા મળીને બનાવને અંજામ આપ્યો હતો. રોકડ ભરેલો થેલો ગાડીમાં મુકવા જતા હતા ત્યારે આરોપીએ બાતમી આપી હતી. જેના આધારે સમગ્ર લૂંટને અંજામ અપાયો હતો. અહીં કામ કરતો પટ્ટાવાળો છેલ્લા દોઢેક મહિનાથી નોકરી કરતો હોઈ ઓફીસમાં થતા રોજબરોજના લાખો રૂપિયાના હિસાબોને જોઈને લોભ લાલચમાં આવી જઈ તેની પડોશમાં રહેતા આરોપી મેઘપર બોરીચીની ફરઝાના ઉર્ફે મંજુ ઈમરાનખાન મલેક (ઉ.વ.૩૪)ને જાણ કરી હતી. ફરઝાનાએ તેના કિશોર વયના મિત્રને જાણ કરતા ત્રણેય જણા ભેગા મળીને લૂંટનું ષડયંત્ર રચ્યું હતું. ફરઝાનાના કિશોર વયના મિત્રએ તેના અન્ય મિત્રોને જાણ કરી લૂંટને અંજામ આપવા સ્થળ પર જવાનું નક્કી કર્યું હતું. પોલીસે આ ગુનામાં લૂંટ ચલાવનાર ગાંધીધામના એફસીઆઈ રોડ પર રહેતા ૧૯ વર્ષિય ભુપેન્દ્ર છોટેલાલ કેવર અને ખારીરોહરના ર૦ વર્ષિય હબીબ ઉર્ફે આદીલ હાજીભાઈ કોરેજા તેમજ ગુનાહિત કાવતરૂં રચનાર અને ટીપ આપનાર પટ્ટાવાળો અને અન્ય કિશોર તેમજ ફરઝાના અને સ્થળ પર રેકી કરનાર અન્ય કિશોર અને મુદ્દામાલ છુપાવનાર વાંકીના ર૩ વર્ષિય ઈકબાલ મીઠુભાઈ બાયડની ધરપકડ કરવામાં આવી છે. જયારે લૂંટને અંજામ આપનાર અન્ય બે શખ્સો ભચાઉ હિંમતપુરાના ફારૂક જુમા નારેજા અને મીઠાપોર્ટ કંડલાના મામદ બાવલા મથડા ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂા. ૪૦ લાખ, ૭૦ હજારના દસ મોબાઈલ તેમજ ગુના કામે વપરાયેલ બાઈક નંબર જી.જે.૩૯ એ. પ૮૯પ અને જી.જે.૧રઈ.એમ. ૮૪૦પ કબજે કરી છે. આરોપીઓ પૈકી ભુપેન્દ્ર અને ઈકબાલ અગાઉ ચોરી સહિતના ગુનામાં ચોપડે ચડી ચુકયા છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, અંજાર પીઆઈ એસ. ડી. સીસોદીયા, તેમજ પૂર્વ કચ્છ એલસીબી, એસઓજી, બનાસકાંઠા એલસીબી, પ્રાગપર, ગઢશીશા, ભચાઉ અને અંજાર પોલીસ જોડાઈ હતી.
-----
આરોપીને પકડવામાં મદદરૂપ થનારા લોકોનું પોલીસવડાએ કર્યું સન્માન
૪૦ લાખની ચકચારી લૂંટનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થનારા નાગરીક અને પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાવીર ડેવલોપર્સ પેઢીમાં કામ કરતા જીગ્નેશ રમણીકભાઈ દોશીએ આપેલી માહિતીના આધારે પોલીસને કડી પ્રાપ્ત થઈ હતી જયારે આ વિસ્તારમાં દવાખાનું ધરાવતા ડો.ઋત્વિક અંજારીયાએ લગાવેલા કેમેરા મદદરૂપ થયા હતા. એસપીએ બન્નેને પ્રમાણપત્ર આપી કામગીરી બિરદાવી હતી. જયારે આરોપીઓ સુધી પહોંચવામાં દિવસ - રાત એક કરનારા અંજાર પીઆઈ શૈલેન્દ્રસિંહ સીસોદીયા અને એલસીબી પીઆઈ નારણ ચુડાસમા અને તેમની ટીમને પ્રમાણપત્ર ઉપરાંત રોકડા રૂા. ર૦ હજારનું ઈનામ આપી બહાદુરીને એસપીએ
બિરદાવી હતી.
------
પૂર્વ કચ્છ એસપીશ્રી બાગમાર- અંજાર ડીવાયએસપીશ્રી ચૌધરીની જોડી છે ત્યાં સુધી ગુનો આચરવાનો વિચાર પણ ગુનેગારો ન કરે.!
પૂર્વ કચ્છમાં જે રીતે થોડા સમય પહેલા જ લાકડાના એક વેપારીના યુવાન પુત્રનુ અપહરણ કરી અને હત્યા નિપજાવાઈ હતી તેમા પુરાવાઓનો જ હતો મોટો અભાવ, ચિત્ર-વિચિત્ર ઘટનાક્રમ હતો, છતા પણ આ બન્ને અધીકારીઓની જોડીએ તેને પણ સફળતા પૂર્વક ઉકેલી લીધો, તે ગુનો ઉકેલાય તેમ જ ન હોતો, એટલે પૂર્વ કચ્છમાં જયા સુધી આ જોડી ફરજમા તૈનાત છે, ત્યા સુધી ગુનેગારો એક વખત પણ ગુનો આચરવાનુ તો દુર, તેનો વિચાર પણ ન કરજો.. : અંજારની ૪૦ લાખની લુંટનો ભેદ પણ ગણતરીના સમયમાં ઉકેલ્યો
પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર તથા શ્રી ચૌધરીના માર્ગદર્શન તળે અહીના ગુનાઓનુ ડીટેકશન-ઉકેલની સફળતા પણ ૧૦૦ ટકા સમાન જ રહેલી છે, ગુનો આચર્યો એટલે જેલના સળીયા ગણવાની તયારી રાખજો જ રાખજો..!
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપી પદે જયારથી સાગર બાગમરે સેવા સંભાળી છે ત્યારથીજ અહીના કુખ્યાત ગુનેગારોના સુપડા સાફ થવા પામી ગયા છે. અહી જે ગુનેગારો બિનધાસ્ત બનીને અસામાજીક પ્રવૃતીઓ, ધંધાઓ, ગુંડાગીરી, આતંક મચાવતા હતા તેઓને સ્થળ બદલાવી લેવા પડયા અને કઈક મુંછે લીંબુ લટકાવનારા પણ જેલના સળીયા ગણતા જ થઈ ગયા છે. વધુમાં એસપીશ્રીની સાથે અંજારના ડીવાયએસપીશ્રી મુકેશ ચૌધરીની પણ કડકાઈ, ફબજનિષ્ઠા, આગવી કોઠાસુજ અને તાબાના અધિકારીઓને સચોટ માર્ગદૃશન અને નૈતિક બળ આપવાવાળી કામગીરીએ અહીના ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે તો બીજીતરફ પ્રજાજનોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારી દીધો છે.
હાલમાં પણ અંજારમાં ૪૦ લાખની જે લુંટની ઘટના બની છે તેનો ઉકેલ પણ ગણતરીના સમયમાં તેઓએ ટીમરૂપે કરી અને ઉકેલ લાવી દીધો છે. આ તબક્કે જાણકારો આ બન્ને અધિકારીઓની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે, પોલીસ પ્રજાનો મિત્ર છેની ઉકિતને આ જોડીએ ખરેખર સાર્થક કરી દેખાડી હોવાનો ઉદગાર વ્યકત કરી રહ્યા છે અને ગુનેગારોને પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે, જયા સુધી પૂર્વ્ કચ્છમાં આ બેલડી સેવારત છે ત્યા સુધી ગુનો આચરવો એ તો દુરની વાત પણ તેનો વિચાર માત્ર પણ ન કરજો. આ બન્નેનો ડીટેકશન ગ્રાફ જુઓ ૧૦૦ ટકાની આસપાસ જ રહેલો છે. અહી અનેક એવા ગંભીર ગુનાઓ અને ગુનેગારો હતા જેને આ બેલડીએ ગણતરીના સમયમાં જ કાયદાનુ ભાન કરાવી દીધુ હતુ. પરંતુ સૌથી મોટો અને ચિત્ર વિચિત્ર ઘટના-બનાવ જો યાદ અપાવીએ તો યુપીના લાકડાના એક વેપારીના પુત્રનું ગાંધીધામમાં અપહરણ કરી અને મર્ડર કરવામા અવ્યુ હતુ અને તે આખુય પ્રકરણ પુરાવાઓ જ છોડયા ન હતા અને ઘટનાક્રમ પણ ખુબજ ચિત્ર વિચિત્ર રીતે પ્લોટ રચીને અંજામ અપાયો હતો. પરંતુ આ એ જ પૂર્વ્ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર અને ડીવાયએસપીશ્રી અંજારના મુકેશ ચૌધરીના રાહબરી હેઠળની ટીમ હતી કે તેઓએ આવો જટીલ ઘટનાક્રમ પણ ઉકેલી લીધો હતો. જો આવા ઘટનાક્રમોના ભેદ આ અધિકારીઓની જોડીના માર્ગદૃશન હેઠળ પૂર્વ્ કચ્છ પોલીસ ઉકેલી જ લેતી હોય તો પછી અન્ય ગુનાઓની તો શુ વિસાત? એટલે ખરેખર જયા સુધી અહી સાગર બાગમાર તથા મુકેશ ચૌધરીની જોડી ફરજ બજાવી રહી છે ત્યા સુધી ગુનેગારો કોઈ ગુનાને અંજામ આપવાનો વિચાર કરતા પણ ૧૦૦ વખત વિચાર કરે એ જ તેમના માટે હિતાવહ રહેશે.
----------
ગુનાહિત ઇતિયારા
આરોપી ભુપેન્દ્ર છોટેલાલ ડેવર રહે. ગાંધીધામ
(૧) અંજાર પો.સ્ટે ગુ.૨.૯.૦૨૬૩/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ (એ)(૧)
(૨) ગાંધીધામ એ,ડીવીઝન પો.૨સ્ટે ગુ.૨..૦૮૮૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ વિગેરે
(૩)ગાંધીધામ એ,ડીવીઝન પો.સ્ટે ગુ.૨..૦૪૬૬/૨૦૨૨જી.પી.એક્ટ કલમ ૧૩૫
આરોપી ઈડબાલ મીઠાભાઇ બાયડ રહે.વાંડી તા.મુંદ્રા
(૧)મુંદ્રા પોલીસ સ્ટેશન ગુ.૨..૦૫૪૭/૨૩ ઇ.પી.કો કલમ ૩૨૪,૫૦૬(૨),
૨૯૪(૧), ૧૧૪ તથા જી. પી. એક્ટ ૧૩૫ વિગેરે
(૨) મુંદ્રા પોલીસ સ્ટેશન ગુ.૨.ન.૧૨૫૫/૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯ વિગેરે
----
મહાવીર ડેવલોપર્સના કર્મચારીની પુછતાછમાંથી
લીંક મળી-સીસીટીવી કેમેરા મદદરૂપ નીવડયા : એસપીશ્રી
ગાંધીધામ : આજ રોજ પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારએ પ્રેસ યોજી અને ડીટેકશનનની માહીતીઓ આપી હતી તે વખતે મીડીયાથી તેઓએ ખાસ વાતચીત કરતા કહ્યુ હતુ કે, તારીખ છ જુનના રોજ સાંજના સમયમાં અંજાર શહેરના વિસ્તારમા મહાવીર ડેવલોપર્સની કચેરીમાં તેમના કર્મચારીઓ તેમની બેગ અને રોકડ રકમ સાથે કામ અર્થે નીકળતા તેઓ કચેરીની બહાર નીચે ઉતર્યા અને ગાડીમાં બેઠા અને બે કર્મીઓની પાસે પાછળથી બાઈક પર ચા માણસો આવે છે અને છરી બતાવીનેલુંટની ઘટનાને અંજામ આપે છે. તે બનાવમાં તેઓ પાસેની રોકડ ૪૦ લાખની રકમ સહિતની વસ્તુઓ લઈને આરોપીઓ ભાગી જાય છે. આ બનાવની જાણ પાલીસને થતા તાત્કાલીક અલગ અલગ ટીમો માન. રેન્જ આઈજીશ્રીના માર્ગદર્શન હેઠળ બનાવામા આવી હતી. બનાવ ચકચારી હતો અને તાત્કાલીક ડીટેકટ કરવા અમારી ટીમો લાગી ગઈ હતી તે દરમ્યાન બે કર્મચારીઓની પુછપછરછ કરવમાાંઆવતી હતી. તે કર્મીઓની ભુમિકા શંકાસ્પદ લાગી અને તેમાથી પોલીસને લીંક મળી. સાથોસથા ફરીયાદીની કચેરી અને તેની પાછળના ભાગે હોસ્પિટલની બહાર લાગેલ સીસીટીવી કેમેરાઓ ખુબજ કામે લાગ્યા છે. ર૪ કલાકમાં જ પોલીસે ગુનાને ડીટેકટ કરી લીધો અને રોકડ રકમ પુરી રીકવર કરાઈ છે. આ અંજામાં બાળકીશોર મહાવીર ડેવલોપર્સનો કર્મચારી હતો. તેણે એક મહીલાને ટીપ આપી હતી. આ મહીલાએ બીજા બાળકિશોર આરોપીઓને જાણ કરી અતે તેના આધારે બીજા ચાર લોકે આ બનાવામાં સાથેજોડાયા હતા જેઓએ લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
----
હિંમત તો જુઓ... હજુ તો યુવાનીના ઉંબરે પ્રવેશ કર્યો છે ત્યાં તો આપી દીધો સનસનીખેજ બનાવને અંજામ...!
દરેક વખતે ગંભીર પ્રકારના ગુનાઓ બને ત્યારે ઝડપાતા આરોપીઓ રીઢા ગુનેગાર અથવા તો મોટી ગેંગ સાથે સંડોવાયેલા હોય છે. પરંતુ આ કિસ્સામાં ઝડપાયેલા આરોપીઓની ગુનો આચરવાની ઉંમર જ નથી. હજુ તો યુવાનીના ઉંબરે પ્રવેશ કર્યો છે ત્યાં ૪૦ લાખની લૂંટને અંજામ આપી દીધો છે, જે માવતરો માટે લાલબતી સમાન કિસ્સો છે. આજના યુગમાં મોબાઈલમાં રીલ્સ અને ક્રિમીનલ વેબસીરીઝ જોઈને આવા વિચારો આવતા હોય છે. કિશોર વયના પટ્ટાવાળાએ પોતાની ફરજ અદા કરવાને બદલે ટીપ આપીને ૪૦ લાખની લૂંટ કરાવડાવી તેની હિંમત કેટલી હશે ? અને જેટલા શખ્સોની સંડોવણી છે. તેમાં ત્રણ તો કિશોર વયના છે. જયારે બાકીના આરોપીઓ યુવા વયના છે. જે ખરેખર ચિંતાજનક બાબત કહી શકાય
તેમ છે.
Comments